કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી હતી કે ઉજ્જવલા (PMUY) અને નોન-ઉજ્જવલા ગ્રાહકો બંને માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવવધારાની જાહેરાત કરતા મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસોમાં તેની સમીક્ષા કરશે. મહત્વની વાત એ છે કે આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે એલપીજી ગેસ અને પેટ્રોલ-ડીઝલના આ વધેલા ભાવ આજે મધરાત એટલે કે મંગળવાર, 8 એપ્રિલ, 2025થી લાગુ થઈ જશે.
મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, "PMUY લાભાર્થીઓ માટે, કિંમત ₹ 500 થી વધીને ₹ 550 પ્રતિ સિલિન્ડર થશે. અન્ય ગ્રાહકો માટે, તે ₹ 803 થી વધીને ₹ 853 થશે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ભાવવધારો સામયિક સમીક્ષાને આધીન છે, જે સામાન્ય રીતે દર 2-3 અઠવાડિયામાં કરવામાં આવે છે.